Khetidekho

ખેડૂત નો દુશ્મન નિંદામણ (WEED)

નીંદણ એટલે શું?
  • ખેતરમાં વાવણી કે રોપણી કરી ઉછેરવામાં આવતા ખેતી તથા બાગાયતી પાકમાં પાકના છોડ સિવાય ઉગી નીકળતી બિન ઉપયોગી અન્ય વનસ્પતિને નીંદણ” કહેવામાં આવે છે અથવા નીંદણ એટલે નુકસાનકારક બિનઉપયોગી છોડ કે જેની જે તે સમયે જે તે જગ્યાએ જરૂર નથી.

 

  • ખેતી કાર્યો જેવા કે વાવણી, આંતરખેડ, પિયત અને કાપણીમાં નીંદણ નડતરરૂપ થાય છે.

 

  • નીંદણ મુખ્ય પાક સાથે ભેજ, પોષકતત્વો, સૂર્યપ્રકાશ અને જગ્યા માટે હરિફાઇ કરે છે અને પાકના છોડનો વૃધ્ધિ અને વિકાસ અટકાવે છે.

 

  • જુદા જુદા પરિબળો દ્વારા ખેત પેદાશમાં થતાં નુકસાનમાં સૌથી વધુ ૩૩% સુધીનું નુકસાન ફક્ત નીંદણથી થાય છે.

 

  • પાક ઉત્પાદન ઘટાડતા પરિબળો પૈકી કીટક તથા રોગના નિયંત્રણ અંગે ખેડૂતો ઘણા સમયથી જાગૃત અને સક્રિય થયા છે, પરંતુ સૌથી વધુ નુકસાનકારક દુશ્મન  “નીંદણ” ના નિયંત્રણની અવગણના કરે છે.
Source : Internet
નીંદણ એક પડકારરૂપ સમસ્યા:
  • ખેતીની શરુઆત થઇ ત્યારથી ‘નીંદણનો પ્રશ્ન ખેડૂતોને મૂંઝવી રહયો છે અને સમય જતા નીંદણનો પ્રશ્ન માત્ર ખેડૂતોનો જ પ્રશ્ન ન રહેતા માનવ સમાજનો પ્રશ્ન બની ગયેલ છે.

 

  • હાલના સંજોગોમાં નીંદણ ખેડૂત સમાજ સિવાય માનવ જાતની તંદુરસ્તી માટે, પશુપાલકો માટે, વેપારી સમાજ માટે, નહેરોમાં અંતરાયરૂપે, જંગલમાં પડકારરૂપે તથા પીવાના પાણીમાં કેટલીક જગ્યાએ જળાશયોમાં પ્રદુષણ રૂપે વિકટ સમસ્યા રૂપ છે.

 

  • ખેડૂતોની ઇચ્છા વર્ષોથી નીંદણને સદંતર દૂર કરવાની રહી છે, પરંતુ આ પ્રશ્ન તરફ પુરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવેલ નથી કારણ કે રોગ અને જીવાત દ્વારા પાકમાં થતું નુકસાન સ્પષ્ટ રીતે નરી આંખે જોઇ શકાય છે, જયારે નીંદણ દ્વારા  થતું નુક્સાન પાક ઉત્પાદનના અંતે ઘટાડારૂપે પરોક્ષ રીતે જણાય છે.

 

  • નીંદણના વ્યવસ્થાપનનું મહત્વ યોગ્ય સમયે ન સ્વીકારવાના કારણે આજના ખેડૂતો માટે નીંદણ પડકારરૂપ સમસ્યા છે. 
Source : Internet
નીંદણ દ્વારા થતું નુકશાન :
  • એક મોજણી મુજબ દેશમાં નીંદણથી વર્ષે દહાડે ન દેખાય તેવું ફક્ત ધાન્ય, કઠોળ તથા તેલીબિયા પાકોમાં અંદાજીત ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.

 

  • નીંદણથી ચોમાસું પાકમાં અંદાજે ૩૬.૫ ટકા જેટલો અને રવી પાકમાં ૨૨.૭ ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

 

  • નીંદણો જમીનમાંથી પોષકતત્વોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પાકની સાથે હરિફાઈ કરે છે. એક વર્ષમાં સરેરાશ ૩૦ કિ.ગ્રા. નાઇટ્રોજન, પ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૯૦ કિ.ગ્રા. પોટાશનું શોષણ કરી જમીનની ફળદ્રુપતા ઘટાડે છે.

 

  • કેટલાક નીંદણો રોગ અને  જીવાતનું આશ્રયસ્થાન હોય પાકની ગેરહાજરીમાં રોગ અને જીવાતનો જીવનક્રમ  ચાલુ રાખવામાં મદદરૂપ થાય છે.

 

  • ગાજરઘાસ (કોંગ્રેસ ઘાસ) જેવા નીંદણો મનુષ્ય તેમજ પ્રાણીઓમાં એલર્જી જેવા રોગો નોતરે છે અને તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે.
Source : Internet
નીંદણ દ્વારા પાક ઉત્પાદનમાં થતો ઘટાડો :
  • ભારતમાં જુદા જુદા સંશોધન કેન્‍દ્ર ખાતે હાથ ધરવામાં આવેલ અભ્યાસ દ્વારા નોંધવામાં આવેલ છે કે નીંદણો દ્વારા પાક ઉત્પાદનમાં ૧૦ ટકાથી માંડીને ૧૦૦ ટકા સુધી ઘટાડો થઇ શકે છે.

 

  • વિવિધ પાકોમાં નીંદણ દ્વારા સૌથી ઓછો ઘટાડો વરિયાળીના પાકમાં ૧૦ થી ૪૨ ટકા અને સૌથી વધુ ઘટાડો જીરા પાકમાં ૯૦ થી ૧૦૦ ટકા સુધી નોંધાયેલ છે.
નિંદામણ દ્વારા પાક ની ગુણવત્તા પર થતી અસર :
Source : Internet
  • નીંદણ થી પાક નું ઉત્પાદન તો ઘટે જ છે સાથે સાથે પાક ની ગુણવતા પણ ઘટે છે.

 

  • નીંદણ થી કપાસ માં જિનિંગ ના ટકા ,શેરડી માં શર્કરા ના ટકા ,મગફળી માં તેલ ના ટકા, જયારે કઠોળ અને ધાન્ય પાકો માં પ્રોટીન ના ટકા માં પણ ઘટાડો નોંધાયેલ છે.

Source: AAU,Anand