Khetidekho

આધુનિક સમયમાં પ્રાકૃતિક ખેતી નું મહત્વ

પ્રાકૃતિક ખેતીનું મહત્વ
  • પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત એક કૃષિ પદ્ધતિ છે, જેમાં પાકમાં ઉપયોગમાં લેવાતા તમામ ઉત્પાદનો જેવા કે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વિગેરે.. ઘરે જ તૈયાર કરવામાં આવે છે. જેથી ખેડૂતને બજારમાં આ માટે રોકડ નાણા ખર્ચવાની જરૂર પડતી નથી.
 
  • પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ઓછા ખર્ચ ની કુદરતી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી વચ્ચેનો તફાવત
  • પ્રાકૃતિક ખેતીએ ઉતમ ખેતી પદ્ધતિ છે. જેમ કે પ્રાકૃતિક ખેતીમાં એક ગાયમાંથી ૩૦ એકર જમીનમાં ખેતી કરી શકાય છે જ્યારે સેન્દ્રિય ખેતીમાં ૩૦ ગાયમાંથી ફક્ત એક એકરમાં જ ખેતી કરી શકાય છે.
 
  • સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે, જયારે પ્રાકૃતિક ખેતીમાં પ્રથમ વર્ષથી પાકનું ઉત્પાદન જળવાઈ રહે છે. સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતનાં નિયંત્રણ માટે પૂરતી અસરકારક જૈવિક દવાઓ ઉપલબ્ધ નથી, જયારે પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાતનાં નિયંત્રણ જંતુનાશકો જાતે જ બનવી શકાય છે. 
 
  • આ ઉપરાંત,ખેડૂતો પાસે ખેતીના એકમો નાના હોઈ શરૂઆતમાં પાક ઉત્પાદન ઘટતું હોવાથી ખેડૂતો સેન્દ્રિય ખેતી અપનાવતા અચકાય છે. ગુજરાતમાં ખેતીમાં મોટા પ્રમાણમાં ભાગીયા પદ્ધતિ અમલમાં છે. ભાગીયાઓ સેન્દ્રિય ખેતી અપનાવવા અવરોધ રૂપ બને છે.
આધુનિક સમયમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાના મુખ્ય ફાયદાઓ
  • ખેત ઉત્પાદન વધે અને ખેતી ખર્ચ ઘટે એટલે અંતે ફુલ ચોખ્ખો નકો વધે, લોકોમાં જીવલેણ રોગો પ્રત્યેની જાગૃતિ આવવાથી પ્રાકૃતિક ખોરાકની માંગ વધી છે, જેના લીધે હાલમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનાં વિવિધ ઉત્પાદનોનો ભાવ સામાન્ય કરતા ઓછામાં ઓછા ૨૫-૫૦ ટકા સુધી વધારે આવે છે. જેથી ખેડૂતોનો નેટ નફો વધે છે.

  • ખેડૂતોને તેમના જળ અને જમીનની તંદુરસ્તી હરહંમેશ એટલે કે પેઢી દર પેઢી જળવાઈ રહે. ખેડૂતો તેમના નૈસર્ગિક સંસાધનો એટલે કે જમીન, પાણી અને વનસ્પતિઓનો કાર્યક્ષમ ઉપયોગ કરી પાકનું ઉતમ ઉત્પાદન મેળવી શકે.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનાં આધાર સ્થંભો
  • પ્રાકૃતિક  ખેતી કરવા માટે પ્રથમ તો તેના આધાર- સ્તંભોને ઊંડાવ્રપૂર્વક સમજવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આધાર સ્તંભ છે. જીવામૃત,બીજામૃત, આચ્છાદન કે આવરણ, જંતુનાશક શસ્ત્રો અને વાફસા.

1. જીવામૃતનું મહત્વ

  • જીવામૃત એક કલ્ચર છે, તે કોઈ ખાતર નથી. જીવામૃત કોઈ પાકને આપવા માટેનો ખોરાક નથી. તે અસંખ્ય જીવાણું ઓનો વિશાળ ભંડાર છે. જે પોષક તત્વો પાકને અપ્રાપ્ય સ્વરૂપમાં હોય છે તેમને આ જીવામૃતમાં રહેલા અસંખ્ય જીવાણુઓ પ્રાપ્ય એટલે કે ઉપલબ્ધ સ્વરૂપમાં ફેરવે છે. જેથી પાકને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો સહેલાઈથી મળી રહે છે.
 
  • આ જીવાણુઓ હવામાંથી નાઈટ્રોજન લઈને પાકનાં મૂળને આપે છે, જેથી ખેડૂતોને બજારમાંથી યુરીયા, ડી.એ.પી. લાવવાની જરૂર રેહતી નથી.બીજા અર્થમાં કહીએ તો આ જીવાણુઓ પાકું ભોજન બનાવવાનું કામ કરે છે.

 

  • જીવામૃતને જયારે આપણે પાણી સાથે જમીનમાં આપીએ છીએ ત્યારે આ જીવાણુઓ પાકનાં ભોજન બનાવવાના કામમાં લાગી જાય છે. તે જમીનમાં લગભગ ૧૫ ફૂટ સુધી રહેલા દેશી અળશીયાઓ અને બીજા જીવ-જંતુઓને જમીનની ઉપરની સપાટી તરફ આકર્ષનિ કાર્યરત કરે છે.

 

  • જીવામૃત બનાવવા માટે દેશી ગાયનું છાણા, ગોમૂત્ર, ઝાડ નીચેની માટી, દેશી ગોળ, કઠોળનો લોટ અને પાણીનો ઉપયોગ થાય છે.  

2.બીજામૃતનું મહત્વ

  • વાવણી કરતા પેહલા બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે આ માટે બીજામૃત ઉતમ છે.
 
  • બીજામૃત દ્વારા માવજત આપેલ બીજ જલ્દીથી અને વધારે પ્રમાણમાં ઉગે છે, મૂળ જડપથી વધે છે. છોડ જમીન-જન્ય રોગોથી બચે છે અને સારી રીતે ફૂલે ફાલે છે.

 

  • બીજામૃત બનાવવા માટ દેશી ગાયનું છાણા, ગોમૂત્ર, ચૂનો, ઝાડ નીચેની માટી અને પાણીનો ઉપયોગ થાય છે.

3.આવરણ કે આચ્છાદનનું મહત્વ

  • જમીનની ઉપલી સપાટીને ઢાંકવાની પ્રક્રિયાને આવરણ કહે છે. આવરણ જમીનની સજીવતા, ભેજ અને તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે, જેથી જમીનના મૂળ- વિસ્તારમાં સુક્ષ્મ વાતાવરણ તૈયાર થાય છે અને દેશી અળસીયા ઉપરની સપાટી પર આવી હગાર કરે છે. જેથી જમીન મુલાયમ અને ફળદુપ બને છે. અળસિયાં અને અન્ય જીવાણુંઓની સક્રિયતાની વધી જવાથી છોડ કેશાકર્ષણ શક્તિ દ્વારા જમીનમાં ઊંડેથી પોષક તત્વો મેળવી શકે છે.

4.જંતુનાશક શસ્ત્રોનું મહત્વ

  • પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાતો સામે પાકનાં સંરક્ષણ માટે નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર,અગ્નિ- અસ્ત્ર,સૂઠાસ્ત્ર, દસપર્ણી અર્ક વિગેરે અસ્ત્રોનો ઉપયોગ થાય છે જયારે તમામ પ્રકારની ફૂગના નિયંત્રણ માટે દસપર્ણી અર્ક અને સૂઠાસત્રનો ઉપયોગ કરી શકાય.

 

  • વિવિધ પ્રકારના જંતુનાશક શસ્ત્રો બનાવવા માટે દેશી ગાયનું છાણ, ગોમૂત્ર,લીંબોળી, ચટણી, લીમડો, સીતાફળી, કરંજ વિગેરે ઝાડના પાનનો ઉપયોગ થાય છે.

5.વાફસાનું મહત્વ

  • જમીનમાંથી પાકનાં મહતમ ઉત્પાદન માટે માટીમાં ૫૦ ટકા હવા અને ૫૦ ટકા ભેજનું પ્રમાણ હોવું જોઈએ તો જ પાક પૂરતા પોષક તત્વો ખેચી શકે. આમ માટીમાં ૫૦ ટકા હવા અને ૫૦ ટકા ભેજનાં પ્રમાણને વાફ્સા કહે છે. 
 
  • આ વાફસાને લીધે જમીનમાં અળસિયાં વિગેરે જીવાણુઓની સક્રિયતા વધી જાય છે. જેના લીધે છોડમાં કેશાકર્ષણ શક્તિ નિર્માણ થાય છે. પ્રાકૃતિક ખેતીમાં છોડ કેશાકર્ષણ શક્તિ દારા જમીનમાં ખૂબ ઊંડેથી પોષક તત્વો મેળવી શકે છે.
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…