Khetidekho

ખેડૂત ના મિત્ર અળસિયા (Earthworm) ની ઓળખ

ખેડૂત ના મિત્ર અળસિયા ની ઓળખ

  • પૃથ્વીની ઉત્પતિ બાદ વિકાસ સાથે અસંખ્ય પ્રકારના જીવોની પણ ઉત્પત્તિ થઈ જેમાં એક અળસિયાં પણ છે. અત્યાર સુધી અળસિયાંની વિવિધ પ્રકારની ૩૦૦૦ જેટલી જાતિ-પ્રજાતિ જોવા મળી છે. ભારતમાં ૫૦૯ જેટલી જાતિ આ નોંધાયેલ છે.
  • એરીસ્ટોલટલે અળસિયાંને પૃથ્વીના આંતરડાનું બિરૂદ્ધ આપેલ છે. 
  • અળસિયાં સાચા અર્થમાં ખેડૂતના મિત્ર તરીકે જાણીતા થયાં કારણ કે તે ખૂબ જ કોમળ છે અને જમીનને સાચી રીતે સમૃદ્ધ બનાવી કૃષિ માં સેવાનું કામ કરે છે.
  • તે જમીનમાં આવેલા સેન્દ્રિય પદાર્થનું ઝડપથી રીસાયકલિંગ કરી છોડને લભ્ય એવા પોષકત્ત્વોમાં બદલે છે. તેની છિદ્રો પાડવાની પ્રક્રિયા જમીનમાં નિતાર અને હવાની અવરજવરમાં સુધારો લાવે છે. પરિક્ષણો સૂચવે છે કે જયાં અળસિયાં હોય ત્યાં પાકનો વિકાસ સારો થાય છે અને વધુ ઉત્પાદન મળે છે.
Source : Internet
અળસિયા ની ઓળખ :
  • અર્થવર્મ (અળસિયું) ત્રીજા ગૃપના કીડા વર્ગનું પ્રાણી છે. જે અન્ય કીડા વર્ગ કરતા ભિન્નતા ધરાવે છે. તેના શરીરના સ્પષ્ટ દેખાઈ આવે તેવા ભાગેથી રીંગ જેવા (૧૦૦ થી ૧૦૮) વિભાગો સ્પષ્ટ દેખાય છે.
  • દેખાવમાં દોરી જેવા ગોળાકાર શરીર ધરાવતા લંબાઈમાં ૨ ઈંચથી ૧૨ ફૂટની વિવિધતા ધરાવે છે. તેનું આખુ શરીર ખૂબ જ પાતળી ચામડીથી સુરક્ષિત છે જે હંમેશા ભીની ચામડી પર શ્વસનની પ્રક્રિયામાં હવામાંથી પ્રાણવાયુ લેવામાં ઉપયોગી છે.
  • પાતળી ચામડીના કારણે શરીરમાંથી પાણી જેવું પ્રવાહી બાષ્પીભવન થાય છે જેથી અળસિયાં ભેજવાળી જમીનમાં રહેવાનું પસંદ કરે છે. અળસિયાં નિશાચર જીવ છે. સૂકી હવામાં તે પ્રવાહી સૂકાઈ જતાં મૃત્યુ પામે છે.   
  • તેની ચામડીમાં જ્ઞાનતંતુ હોય છે. જે રસાયણ અને પ્રકાશથી ખૂબ જ સંવેદનશીલ હોય છે. જેવો પ્રકાશ તેના શરીર ઉપર પડે કે તુરંત જ જમીનના કાણાં-અંધારામાં જવા પ્રયત્ન કરે છે.
Source : Internet

શરીર ની રચના અને ખોરાક :

  • મુખ ની  અંદર અન્નનળી જેવા ભાગની દિવાલ ના ખાંચામાં કેલ્સીફેરસ ગ્રંથિ આવેલી છે, જે કેલ્શિયમ ઉમેરે છે.
  • પાચનતનલિકામાં ઘંટી જેવી રચના છે, જેની અંદર લીધેલ ખોરાકનું વલોવવાનું તેમજ દળવાનું થાય છે. જે બારીક થયેલ ખોરાક આંતરડામાં પસાર થાય ત્યારે અસંખ્ય સૂક્ષ્મજીવો તેના ઉપર પ્રક્રિયા કરી જરૂરી પોષકતત્ત્વોના શોષણ બાદ બાકી રહેલ પદાર્થ કાસ્ટીંગ સ્વરૂપે બહાર કાઢે છે, જે છોડ માટે જરૂરી તમામ પોષકતત્ત્વો લભ્ય સ્વરૂપે ફેરવી આપે છે. 
  • અળસિયાં સામાન્ય રીતે ૧૫ સે.મી. લંબાઈના હોય છે, જે થોડાક મિલિમીટરથી માંડી ૧ મીટર જેટલી લંબાઈ ધરાવે છે. 
  • અળસિયું ઉભયલીંગી એટલે કે નર અને માદાના અંગો એક જ અળસિયાંમાં આવેલા હોય છે, જે નર તથા માદા તરીકે કામગીરી કરે છે. આમ જોઈએ તો અળસિયું ઉભયલિંગી છે, પરંતુ પ્રજનન માટે બે અળસિયાંનું ભેગા થવું જરૂરી છે. 
  • તે શરીરની સપાટી પર આવેલા રધ્રો દ્વારા શ્વસન કરે છે. જમીનમાંની ધ્રુજારીથી સભાન થઈ જાય છે.
  • સેન્દ્રિય કચરો, એંઠવાડ, લાકડાનો વ્હેર, કાગળના કુચા , શેરડીના કુચા , કેળાની છાલ અને મળ તેનો ખોરાક છે. 
Source : Internet

ઈંડા,વાતાવરણ અને સંખ્યા : :

  • અળસિયાં જુદી જુદી જાત મુજબ ૧૫ થી ૨૦ ઈંડા મૂકે છે. વૃદ્ધિનો અભ્યાસ કરતાં અવલોકનમાં આવેલ છે કે ૧૦૦૦ અળસિયાં ૨૧ દિવસમાં સાનુકૂળ વાતાવરણમાં ર૦૦૦ થાય છે અને ૧૨ માસના અંતે ૮,૩૩,૦૦૦ થાય છે.   

  • જાતિ મુજબ તેનું આયુષ્ય ૩ થી ૧૦ વર્ષ સુધી હોય છે. 

  • અળસિયાં પોતાના વજનથી દોઢી જમીન રોજ ખોદી કાઢે છે, તે દિવસ દરિમ્યાન જમીનમાં ૬ થી ૭ ઈંચ ઊંડાં રહે છે. જે રાત્રે ૭ વખત જમીન ઉપર આવે છે એટલે રોજ ૧૪ છિદ્રો પાડે છે.

  • ભેજવાળુ વાતાવરણ તેને માફક આવે છે. એક એકરમાં લાખ થી બે લાખ અળસિયાં નભે છે. 

Source : Internet

વજન અને તેનું કાર્ય :

  • પુખ્ત અળસિયાંનું વજન અંદાજીત ૧ ગ્રામ હોય છે. પરંતુ જન્મે ત્યારથી સતત માટી, સેન્દ્રિય પદાર્થ ખાય છે, એક દિવસમાં પોતના શરીરના વજન કરતા દોઢથી બે ગણો સેન્દ્રિય કચરો ખાય છે જે પૈકી ૫ થી ૧૭% ખોરાક શરીરના વિકાસ માટે વાપરી બાકીનો હગાર વર્મિકાસ્ટ) રૂપે બહાર કાઢે છે. આ હગાર હ્યુમસ સ્વરૂપે હોય છે, જેમાં જમીનની માટી કરતા ૧૦૦ ગણા લભ્ય પોષક તત્વો હોય છે, જે છોડને લભ્ય બને છે.
  • તેનું વજન એક ટન અંદાજીએ તો તે રોજની દોઢ ટન માટી ઉથલાવે છે જેને કારણે આ માટીમાં પાંચ ગણો પોટાશ, ત્રણ ગણો મેગ્નેશિયમ અને ચાલીસ ગણું સેન્દ્રિય તત્ત્વ ઉમેરાય છે, હવાની અવરજવર વધે છે, જમીન પોચી બને છે, જેના કારણે છોડના મૂળ સહેલાઈથી વધે છે.
  • અળસિયાં મરે છે ત્યારે તેના પ્રોટીનયુક્ત શરીરનું વિઘટન થઈ જાય છે. હગારમાં તેમજ અળસિયાંના વિઘટન થયેલા શરીરમાં પોષકતત્વો વનસ્પતિ માટે પાચ્ય એવા સ્વરૂપમાં ફેરવાયેલા હોય છે. તેમજ જમીનનું પોત સુધારનાર જમીનના પ્રાણ સમા કરવાટ પ્રચુર માત્રમાં હોય છે.
  • ખડકો કે પથ્થરો નૈસર્ગિક બળો જેવા કે વરસાદ, પવન, બરફ, ગરમી, ઠંડી તેમજ પ્રાણીઓની કેટલીક ક્રિયાઓને પરિણામે ભાંગીને ભૂકો થાય છે. આ રજકણો નિર્જીવ હોય છે જે અળસિયાંએ બનાવેલ ખતરાયેલી માટી (સજીવ માટી) ભળતાં જમીન જીવંત અને ફળદ્રુપ બને છે.
  • આવી જીવત ફળદ્રુપ જમીનમાં જ વનસ્પતિ ઉગી શકે છે. એવી જમીનમાં જ પૌષ્ટિક ગુણો ધરાવનાર પાકનું વધુ સારૂં ઉત્પાદન થાય છે, જે સ્વાદિષ્ટ લાગે છે તથા આ પાકમાં રોગ અને કીટકોનો પ્રતિકાર કરવાની શક્તિ હોય છે.

Source : AAU